Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
13 verses
1તે સમયે તારા દેશબંધુઓની રક્ષા કરનાર મહાન દેવદૂત મિખાયેલ ઊભો થશે. પ્રજાઓ ઉત્પન્ન થઇ ત્યારથી અત્યાર સુધીમાં કદી ન આવ્યો હોય એવો ભારે સંકટનો સમય યહૂદીઓ માટે આવશે, તેમ છતાં જેનું નામ જીવનનાઁ પુસ્તકમાં લખાયેલું છે એવા તારા લોકમાંના દરેક જણનો બચાવ થશે.
2જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે.
3જેઓ દેવના લોકો છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે અને જેમણે ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.
4“‘પણ હે દાનિયેલ, તું આ વચનોને ગુપ્ત રાખજે, અને અંતકાળ આવે ત્યાં સુધી આ પુસ્તકને મહોર મારી રાખજે, આ સમય દરમ્યાન ઘણાં લોકો જ્યાં-ત્યાં દોડશે અને જાણકારીમાં વધારો થશે.
5“‘ત્યારબાદ મેં દાનિયેલે જોયું તો, બીજા બે માણસોને ઊભેલાં જોયાં, એક જણને નદીને આ કિનારે અને બીજાને સામે કિનારે.
6હવે શણના વસ્ત્ર પહેરેલો માણસ નદી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછયું, ‘આ ભયંકર ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?’
7“ત્યારે શણના વસ્ત્ર પહેરી ઉપરવાસ ઊભેલા માણસે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને દેવના સમ ખાઇને કહ્યું, ‘કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. જ્યારે પવિત્રપ્રજાની સતામણીનો અંત આવશે, ત્યારે આ બધી ઘટનાઓનો અંત આવશે.’
8“તેણે કહ્યું તે મેં સાંભળ્યું ખરું પણ મને સમજાયું નહિ એટલે મેં પૂછયું, ‘હે યહોવા, આ સર્વ બાબતોનું શું પરિણામ આવશે?’
9“તેણે જવાબ આપ્યો, ‘દાનિયેલ, હવે તું અહીંથી ચાલ્યો જા, કારણ, આ વચનો અંતકાળ સુધી ગુપ્ત અને સીલ કરેલાં રહેવાના છે.
10ઘણા લોકો પવિત્ર, ડાઘ વિનાના અને ફરીથી શુદ્ધ થશે, પણ દુષ્ટો તેઓની દુષ્ટતામાં જ ચાલુ રાખશે. અને તેઓમાંનો કોઇ સમજશે નહિ. ફકત જેઓ જ્ઞાની છે તેઓ જ સમજવા પામશે.
11“‘પ્રતિદિન અપાતાં અર્પણો બંધ કરવામાં આવશે અને વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ સ્થાપન કરવામાં આવશે, તે સમયથી તે 1,290 દિવસો હશે.
12અને જે માણસ 1ણ335 દિવસ સુધી ટકી રહે અને રાહ જુએ તેને પરમસુખી જાણવો! ને ધન્ય છે તેઓને.
13“‘પરંતુ અંત સમય આવે ત્યાં સુધી તું તારે રસ્તે પડ. તું ચિરનિંદ્રામાં પોઢી જશે અને જાગ્યા પછી મુદતને અંતે તું તારો ભાગ મેળવીશ.”‘