Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
39 verses
1વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ .
2પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
3વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
4કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
5હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો.
6વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે.
7નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
8વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો.
9દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા.
10ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય.
11ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો.
12આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.
13આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ.
14આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે.
15જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત.
16પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
17દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું.
19ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.
20વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો.
21વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.
22વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.
23વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ.
24વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી.
25મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું.
26ઈજીપ્ત દેશની સંપતિના ધણી બનવા કરતાં તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યુ, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ રાખ્યું.
27વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય.
28મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂતઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો.
29વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા.
30લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો.
31રાહાબ વેશ્યાએ ઇસ્ત્રાએલી જાસૂસ લોકોને આવકાર્યા અને મિત્રની માફક મદદ કરી. કારણ કે તેને વિશ્વાસ હતો એટલે તે અવજ્ઞા કરનાર લોકો સાથે મરણ પામી નહોતી.
32આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકોના વિશ્વાસની વાત કરવા બેસું તો મને એટલો સમય પણ નથી.
33આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.
34આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા.
35સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે.
36કેટલાકની મશ્કરી કરવામાં આવી અને તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. બીજા (કેટલાએક) ને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યા.
37તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા. જે ગરીબો હતા તેમને ખુબજ દુ:ખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો.
38આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.
39આ બધાજ લોકો વિશ્વાસ રાખનાર હતા. છતાં કોઈને પણ દેવનું મહાન વચન મળ્યું નહિ.
40કેમ કે દેવે આપણને કઈક વધારે સારું આપવા નક્કી કર્યુ છે જેથી તેઓ ફક્ત આપણી સાથે જ પરિપૂર્ણ થઈ શકે.