Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
14 verses
1પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે.
2પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે.
3તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.
4કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.
5ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું, “તું મારો પુત્ર છે; આજે હું તારો પિતા બન્યો છું.” ગીતશાસ્ત્ર 2:7
6અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે, “તું મલ્ખીસદેકની માફક સનાતન યાજક રહીશ.” ગીતશાસ્ત્ર 110:4
7ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી.
8ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો.
9આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો.
10અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.
11આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી.
12જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો.
13જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે.
14પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.