Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
43 verses
1પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો:
2“એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવની પરવા કરતો નહિ. ન્યાયાધીશ પણ લોકો તેના વિષે શું વિચારે છે તેની ચીંતા કરતો નહિ.
3તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, “એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.”
4પરંતુ ન્યાયાધીશ તે સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો ન હતો. લાંબા સમય પછી ન્યાયાધીશે તેની જાતે વિચાર્યુ, ‘હું દેવથી ડરતો નથી અને લોકો શું વિચારે છે તેની પણ પરવા કરતો નથી.
5પણ આ સ્ત્રી મને તકલીફ આપે છે. જો હું તેને જે જોઈએ છે તે આપીશ તો તે મારો પીછો છોડશે. પણ જો હું તેને જે જોઈએ છે તે નહિ આપુ તો હું માંદો પડીશ ત્યાં સુધી તે મને તકલીફ કરશે!”‘
6પ્રભુએ કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેનો પણ અર્થ છે.
7દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ.
8હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?”
9ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો.
10એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો.
11ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, “ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું.
12હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’
13“જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’
14હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘ��ે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”
15કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું.
16પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે.
17હું તમને સાચું કહું છું, કે, જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે!”
18એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?”
19ઈસુએ તેને કહ્યું કે, “તું મને શા માટે ઉત્તમ કહે છે? ફક્ત દેવ જ ઉત્તમ છે.
20છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ. તું દેવની આજ્ઞાઓ જાણે છે: ‘તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે કશું ચોરવું જોઈએ નહિ, તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ. તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ....’“
21પણ તેણે કહ્યું કે, “હું નાનો બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું!”
22જ્યારે ઈસુએ આ સાંભળ્યું. ત્યારે તેણે તે અધિકારીને કહ્યું કે, “હજુ તારે એક વસ્તુ વધારે કરવાની જરૂર છે તારી પાસે જે કંઈ બધું છે તે વેચી દે અને પૈસા ગરીબ લોકોને આપી દે. આકાશમાં તને તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર!”
23પણ જ્યારે તે માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો દિલગીર થયો. તે માણસ ઘણો ધનવાન હતો અને તેની પાસે પૈસા રાખવા ઈચ્છતો હતો.
24જ્યારે ઈસુએ જોયું કે તે માણસ દિલગીર થયો છે ત્યારે તેણે કહ્યું, “ધનવાન માણસ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે!
25ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.”
26જ્યારે લોકોએ આ સાંભળ્યું, તેઓએ કહ્યું, “તો પછી કોનું તારણ થશે?”
27ઈસુએ ઉત્તર આપ્યો, “માણસો માટે જે કરવું અશક્ય છે તે બાબત દેવ કરી શકે છે!”
28પિતરે કહ્યું કે, “જુઓ, અમે અમારી પાસે જે બધું હતું તેનો ત્યાગ કરીને તારી પાછળ આયા છીએ!”
29ઈસુએ કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, દેવના રાજ્ય માટે દરેક વ્યક્તિ જે પોતાના ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતાપિતા અને બાળકોનો ત્યાગ કરશે, તે
30તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.”
31પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે!
32તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે.
33તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.”
34શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો.
35ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો.
36જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, શું થઈ રહ્યું છે?”
37લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.”
38આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!”
39જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”
40ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે,
41“તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”
42ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
43પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.