Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
18 verses
1હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો? સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે, તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે; લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ; દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે; અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે. દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે. તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8નિદોર્ષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે. કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા માટે તેઓ છુપાઇ જાય છે.
9જેમ સિંહ ગુફામાં છુપાઇને ગુપ્ત જગામાં ભરાઇ રહે છે; અને જેમ શિકારી શિકારને ફસાવે છે તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે, અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે? દેવ ભૂલી ગયા છે? તેમણે પોતાનું મુખ જોયુ નથી, સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12હે યહોવા, ઊઠો! હે દેવ, તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો અને ગરીબને ભૂલશો નહિ.
13હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે? શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો. તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે, તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે. તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો, હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો. તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16યહોવા સદાકાળનો રાજા છે. વિદેશી રાષ્ટોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.