Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Gujarati Holy Bible Wordproject Bible
27 verses
1દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તારી સામે છે તે ખાઇ, જા, આ ઓળિયું ખાઇ જા, અને પછી ઇસ્રાએલીઓ આગળ જઇને કહી સંભળાવ.”
2તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેમણે મને ઓળિયું ખાવા માટે આપ્યું.
3પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને આપું છું તે ઓળિયું ખાઇ જા અને તારું પેટ ભર.”મેં તે ખાધું અને મને તે મધ જેવું મીઠું લાગ્યું.
4પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ પાસે જઇને હું તને કહું તે તેઓને કહે.
5હું તને દૂરના દેશમાં રહેતી અને તું ન સમજી શકે તેવી અજાણી ભાષા બોલતી વિદેશી પ્રજા પાસે નથી મોકલતો, પણ ઇસ્રાએલી પ્રજા પાસે મોકલું છું.
6હું તને કોઇ અજાણી કે અઘરી ભાષા બોલનાર પ્રજા પાસે નથી મોકલતો. જો હું તને તેઓની પાસે મોકલું તો તેઓ જરૂર તારો સંદેશો સાંભળે.
7પરંતુ ઇસ્રાએલીઓ તારી વાત નહિ સાંભળે, કારણ, તેઓ મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. તેઓ બધા એવા કઠોર અને હઠીલા છે.
8તેથી હું પણ તને એમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ.
9હું તને કાળમીઠ પથ્થર જેવો, અરે! વજ્ર જેવો કઠણ બનાવીશ. માટે તું એ બંડખોરોથી બીશ નહિ, ગભરાઇશ નહિ.”
10પછી દેવે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ અને બરાબર યાદ રાખી લે.
11પછી બંદીવાસમાં ગયેલા તારા લોકો પાસે જઇને તેઓને કહે: ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે!’ તેઓ સાંભળે કે ન સાંભળે.”
12પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો અને મેં મારી પાછળ પ્રચંડ અવાજ સાંભળ્યો: “યહોવાના ગૌરવને ધન્ય હો.”
13મેં હવામાં પ્રાણીઓની પાંખો એકબીજા સાથે અથડાવાનો મોટો અવાજ સાંભળ્યો, અને, તેમની પાછળ પૈડાંઓના ગડગડાટ પણ સંભળાતા હતા.
14પછી આત્મા મને ઉપાડી ગયો અને હું દુ:ખી થઇને ક્રોધ અનુભવતો સાથે ગયો. પરંતુ યહોવાનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
15હું તેલ- આબીબકબારનદીને કાંઠે વસતા દેશવટો ભોગવનારાઓ પાસે પહોંચી ગયો અને સાત દિવસ સુધી તેમની વચ્ચે સ્તબ્ધ બની બેસી રહ્યો.
16સાત દિ��સો પૂરા થયા પછી મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ:
17“હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલ પર ચોકીદાર તરીકે નીમ્યો છે; જ્યારે હું મારા લોકો માટે ચેતવણી મોકલું ત્યારે તે તરત જ તેઓને જણાવજે.
18હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.
19“પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે તો, તે પોતાના પાપે મરશે, પણ તારો જીવ બચી જશે.
20“વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ.
21“પણ જો તું કોઇ સારા માણસને પાપ ન કરવાને ચેતવે અને તે પાપ ન કરે તો તે તારી ચેતવણીને લીધે જીવતો રહેશે, એટલું જ નહિ, તારો જીવ પણ બચી જશે.”
22ત્યારે યહોવાનો હાથ મારી પર એ જગ્યાએ આવ્યો અને તેણે મને કહ્યું, “ઊઠ, બહાર ખીણમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ.”
23તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
24પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે.
25હે મનુષ્યના પુત્ર, તને દોરડાં વડે બાંધવામાં આવશે, જેથી તું લોકોમાં જઇ ન શકે.
26અને હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઇશ. જેથી તું મૂંગો બની જશે અને તેઓને ઠપકો આપી શકશે નહિ; તેઓ તો બળવાખોરોની જમાત છે.
27પરંતુ મારે તને કઇંક કહેવું હશે ત્યારે હું તને ફરી બોલતો કરીશ, અને તું તેમને કહેજે કે, ‘યહોવા આપણા પ્રભુ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, એ તો બળવાખોરોની જમાત છે.”